અભિજિતસિંહ પણ 15-17 લાખ આપવાનો હોવાથી તે છેલ્લો ટાર્ગેટ હોવાનું તેણે જીગરને જણાવ્યું હતું. આરોપીની માતા અને પત્ની વચ્ચે ખૂબ જ કંકાસ થતો હોવાથી ખુદની માતાની હત્યા કરી નાખી હતી. જેના કારણે તેના મામાએ પણ તેનાથી અંતર જાળવવાનું પસંદ કર્યું હતું. આ કેસની તપાસ ચાલી રહી છે તેમાં પણ આગામી સમયમાં પોલીસ ફરિયાદો નોંધાશે. બીજીબાજુ નવલસિંહના પરિવારજનો પણ મઢમાં ધૂણતા હતા. જેથી તે લોકો પણ ભૂવાની કરતૂતો જાણતા હોવાથી આગામી સમયમાં તેમની સંડોવણી બાબતે પૂછપરછ કરી પોલીસ તપાસ કરાશે. નગમા કાદરભાઇ મુકાસમની હત્યા બાદ તેની લાશના ટુકડા વાંકાનેરમાં નાખી દીધા હતા તે બાબતે ફરિયાદ નોંધાઇ છે કે નહીં તેની પોલીસ ચકાસણી કરી રહી છે.
આરોપીના પિતાનું નામ અરવિંદસિંહ નથી
આરોપી નવલસિંહના પિતાનું નામ કનુભાઇ હતું અને તે પણ મેલડી માતાના ભૂવા હતા. પરંતુ તેના કાકા અરવિંદસિંહને સંતાન ન હોવાથી તે પાલક પિતા બન્યા હતા. આરોપી પણ પિતાના નામમાં અરવિંદસિંહનું નામ લખાવતો હતો. તેમની મિલકત પણ તેના નામે કરી દેવાયા બાદ અરવિંદસિંહનું મોત નિપજ્યું હતું.
પરિવાર, સંબંધી કે ગામના લોકોને કોઇ અફસોસ નહીં
આરોપી નવલસિંહના ગામના લોકો, નજીકના સંબંધીઓ તેની આ કરતૂતથી વાકેફ હતા. 12 હત્યા કરનાર નવલસિંહના કેટલાક પરિવારજનો પણ તેની કરતૂતોથી જાણકાર હતા. આરોપીને તેના અધર્મ કર્મોની સજા મળી હોવાથી પરિવારજનો, સંબંધી કે ગામના લોકોને કોઇ દુઃખ કે અફસોસ નથી. લાંબા સમયથી તમામ લોકોએ તેનાથી અંતર વધાર્યું હતું અને તેના કારણે જ તે અમદાવાદ આવી ગયો હતો. બાદમાં પુત્રને સેટ કરવાના સપનાં જોયા હતા.
પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરાશે
આરોપીએ જેટલી પણ હત્યા કરી તે તમામ લોકો નજીકના સંબંધી કે પરિચીત વ્યક્તિઓ હતા. આરોપીએ કેટલા લોકોની કેવી રીતે હત્યા કરી તે બાબતે તેના પરિવારના નજીકના લોકો જાણતા હોવાની પોલીસને શંકા હોવાથી પોલીસ તેમની પણ પૂછપરછ કરશે.
અભિજિત હકીકતમાં છેલ્લો ટાર્ગેટ હતો?
અભિજિતસિંહ ભૂવાને એકના ચાર ગણા કરવાની વિધિ માટે 15 લાખ અને પાંચેક તોલા દાગીના આપવાનો હતો. જે કિંમતથી ભૂવાનો પુત્ર ક્રિકેટર પણ બની જાય અને તમામ હપ્તા સહિતનો ખર્ચ નીકળી જાય ત્યારબાદ તે આ કામ બંધ કરી દેવાનું તેના મિત્ર જીગરને કહી ચૂક્યો હતો. જો કે તેની લાલચ વધુ જાગવાની હતી કે હકીકતમાં છેલ્લો ટાર્ગેટ હતો તે સવાલ છે

